Showing posts with label Apocalypse. Show all posts
Showing posts with label Apocalypse. Show all posts

પોપ્યુલેશન ઝીરો:પૃથ્વી પરથી મનુષ્ય અચાનક અદ્રશ્ય થઇ જાય તો.

PUB Date: 12.06.2016

 કલ્પના કથા કરતાં વધારે રોમાંચક ભવિષ્ય...

 તાજેતરમાં એક્સમેન: એપોકેલીપ્સ નામની ફિલમ ૩Dમાં રજુઆત પામી છે. એક્સમેનનાં ચાહકો અને સ્પેશીઅલ ઈફેક્ટના રસીકો માટે માણવા લાયક ફિલ્મ છે. ફિલ્મ એક પ્રકારની સાયન્સ ફિકશનને વાસ્તવિક વરચ્યુઅલ રિઆલિટીમાં લઇ જાય છે. ફિલ્મનું હાર્દ છે. પૃથ્વી પરથી સમગ્ર માનવ જાતને નેસ્તનાબુદ કરી નાખી, નવાં વિશ્વની શરૃઆત કરવાનું સ્વપ્ન, એક પીરામીડ કાળનો મહા મ્યુટન માનવી આ સ્વપ્ન સાકાર કરવા માગે છે ! સવાલ એ થાય કે જો ખરેખર પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું અસ્તિત્વ નાબુદ થઇ જાય તો, પછીનાં વર્ષોમાં પૃથ્વી ગ્રહની હાલત શું હોય ? અહીં એ સવાલ અસ્થાને છે કે સમગ્ર પૃથ્વીવાસી મનુષ્યનું અસ્તિત્વ ખતમ કઇ રીતે થઇ જાય ? તાજેતરમાં આ સવાલનો જવાબ આપતી વિડીયો યુટયુબ પર અપલોડ થઇ છે.
જે નેશનલ જીયોગ્રાફી ચેનલની વિડીયોને એડીટ કરીને રજુ કરવામાં આવી છે. ડેઈલી મેઈલ ન્યુઝ પેપરમાં એક સુંદર લેખ પણ આ બાબતે છવાયો છે. મનુષ્યનું  પૃથ્વી પર ભવિષ્ય હાલનાં તબક્કે ઊજળું છે. છતાં બે ઘડી માની લઇએ કે પૃથ્વી પરથી સમગ્ર મનુષ્ય પ્રજાતી નાશ પામી છે. (અન્ય સજીવો, પ્રાણીઓ જીવંત છે.) કાળક્રમે પૃથ્વી પર કેવાં ફેરફાર થાય ?

પોપ્યુલેશન ઝીરો:- એક નવતર કલ્પના

પૃથ્વીનું વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. જેને આપણે ગ્લોબલ વોર્મીંગ કહીએ છીએ. સાથે સાથે મનુષ્યની સંખ્યા પણ વધી રહી છે. આપણાં અસ્તિત્વ માટે જરૃરી સંશાધનો ઝડપથી ખૂટી રહ્યાં છે. તેનાં ઉપાય આપણે શોધી રહ્યાં છીએ. મનુષ્ય ગ્લોબલ વોર્મીંગ કે ન્યુક્લીયર વેપન્સની વધતી જતી સંખ્યાને રોકી શકતા નથી. ત્રાસવાદ વિશ્વ વ્યાપી બની રહ્યો છે. તેવાં સમયે ખ્યાતનામ વૈજ્ઞાાનિક સ્ટીફન હોકીંગે એક વર્ષ પહેલાં આપેલ વોર્નીંગ યાદ આવે છે. ''પૃથ્વીને ખાલી કરો અથવા નિકંદન કાઢી નાખવા તૈયાર રહો.'' મનુષ્ય નામનાં બધા જ ઈંડા, પૃથ્વી નામની એક 'ટોપલી'માં રાખવા સલામતી માટે ખતરો છે. મનુષ્ય રૃપી ઈંડાનું ભવિષ્ય 'અંતરીક્ષ'માં અન્ય સ્થળે સલામતી રહી શકે તેમ છે. આજે પૃથ્વી પર ૨૨,૬૦૦ જેટલાં ન્યુક્લીયર વેપન્સ છુટા છવાયા પડી રહ્યાં છે. જેમાંથી ૭૭૭૦ 'એક્ટીવ' અવસ્થામાં છે. મનુષ્ય પોતાનુ અસ્તિત્વ ખતમ નહીં કરે તો, ૭.૬૦ અબજ વર્ષ બાદ, સુર્ય વિસ્તાર પામીને પૃથ્વીને ગળી જવાનો છે.
૨૦૦૭માં એલન વેઇસમાને ''ધ વર્લ્ડ વિધાઉટ અસ'' નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં મનુષ્ય પૃથ્વી પરથી લુપ્ત થઇ જાય તો, પૃથ્વીનાં કુદરતી અને માનવ સર્જીત પર્યાવરણમાં શું ફેરફાર થાય તેનો ચિતાર હતો. આ પુસ્તકનાં ટાઇટલ પરથી જ ડિસ્કવર મેગેઝીનમાં, એક લેખ ''અર્થ વિધાઉટ પીપલ'' નામે પ્રકાશિત થયો હતો. આ પુસ્તક ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર પુસ્તકનાં લીસ્ટમાં છઠ્ઠું રહ્યું હતું. જ્યારે ટાઇમ અને એન્ટરટેઇનમેન્ટ વિકલીનાં ટોપ ટેન નોન-ફીકશન લીસ્ટમાં પ્રથમ રહ્યું હતું. ૨૦ સેન્ચ્યુરી ફોકસે પુસ્તક પરથી ''ફિલ્મ'' બનાવવાનાં હક્કો ખરીદી રાખ્યા છે.
આ પુસ્તક પરથી પ્રેરણા લઇને, 'આફટર મેથ: ધ વર્લ્ડ આફટર હ્યુમન્સ' નામની કેનેડીઅન ડોક્યુમેન્ટરી બની હતી. જે નેશનલ જીયોગ્રાફી પર રજુઆત પામી હતી. હિસ્ટ્રી ચેનલે ''લાઇફ આફટર પીપલ'' બનાવી હતી. જે એક વરવો ચિતાર બતાવે છે. દરેક ધર્મમાં માન્યતા છે ''જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે.'' જેને સામુહીક ધોરણે મનુષ્યજાતિને પણ લાગુ પાડી શકાય. પૃથ્વી પરથી શક્તિશાળી ડાયનાસૌરનો યુગ આથમી ગયો હતો. મનુષ્યનો યુગ પણ આથમી શકે છે. જો આવું બને તો લાખો વર્ષ બાદ પૃથ્વી પર મનુષ્યનાં અવશેષોનું કોઇ નામોનિશાન રહે નહીં. વિધિની વિચિત્રતા એવી હશે કે ''જ્યાં મનુષ્ય જન્મ્યો હતો. ત્યાં પૃથ્વી પર તેનાં અસ્તિત્વનાં પુરાવાઓ બચ્યા નહીં હોય ત્યારે, પૃથ્વીથી ૩.૮૫ લાખ કી.મી. દૂર આવેલ ચંદ્ર તેની ભૂમિ પર મનુષ્યનાં ચંદ્ર પર ઉતરવાની ઘટનાનાં  પગલાં સાચવીને બેઠો હશે.''

મનુષ્યનાં અસ્તિત્વ સામેનો મોટો ખતરો: ''ઈવેન્ટ ઝીરો''

મનુષ્યનાં પૃથ્વી પરથી નામશેષ થવાની ઘટના માટે વિજ્ઞાાને નવો શબ્દ શોધવો પડશે. જેને 'ઈવેન્ટ ઝીરો' તરીકે અથવા 'પોપ્યુલેશન ઝીરો' તરીકે લઇ શકાય. પ્રચલીત ભાષામાં એપોકેલીપ્સ, ડુમ્સ ડે, કયામતનો દિવસ વગેરે શબ્દો વપરાય છે. બુક ઓફ રિવેલેશનમાં એપોકેલીપ્સ શબ્દ વપરાયો છે. જેનો અર્થ થાય ''દુનિયાનો સંપૂર્ણ વિનાશ'' જે કોઇ મોટી ઘટના સ્વરૃપે જોવામાં આવે છે. પૃથ્વી પર સંપૂર્ણ વિનાશની ઘટના માટે જવાબદાર યુધ્ધ કે તકરાર માટે સુંદર શબ્દ છે. જેને અગ્રેજીમાં ''આર્માગેડ્ડોન'' કહે છે. એપોકેલીપ્સ, ડુમ્સ ડે કે આર્માગેડ્ડોન સાયન્સ ફિકશન માટેનો લોકપ્રિય વિષય છે. જો કે આ બધા પાછળ ખરેખર કોઇ સચોટ 'સાયન્ટીફીક થિયરી' મનુષ્યને  આવનારાં  ખતરાથી અવગત કરે છે.
પૃથ્વી પર મનુષ્ય કે સજીવોનાં અસ્તિત્વનું નિકંદન નિકળી જાય તેવી ઘટના માટે અનેક કારણો અને ઘટનાને વૈજ્ઞાાનિકો આગળ ધરે છે. આવી ઘટના વિશે વિચારીએ તો... મનુષ્યનું અસ્તિત્વ પૃથ્વી પરથી લુપ્ત થઇ શકે છે. જેમ કે...
- પૃથ્વી પર કોઇ વિશાળકાય એસ્ટ્રોઇડ અથડાય અને, ડાયનોસૌરની માફક મનુષ્ય લુપ્ત થઇ શકે છે,.
- એચઆઇવી અને બીજા કેટલાંક વાયરસ છે. જેનાથી ફેલાતી મહામારીથી બચવાનાં  ઉપાય  ન થાય તો માનવી નામશેષ થઇ શકે છે.
- ત્રીજું વિશ્વ યુધ્ધ, પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ મનુષ્યની ભવિષ્યની આશા પર પૂર્ણવિરામ મૂકી શકે છે.
- ગ્લોબલ વોર્મીંગ અને આબોહવાનાં ફેરફારો સમગ્ર મનુષ્ય જાતિને ભરખી શકે છે. ભારતની સિંધુ ખીણની સભ્યતાનો અંત પણ આવી ઘટનાને કારણે થયેલો નિષ્ણાંતો માને છે.
- આવનારા ભવિષ્યમાં રોબોટ, આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વગેરે મનુષ્યનું નામનિશાન મિટાવી દેવા શક્તિમાન બની શકે છે.

ટાઈમ લાઈન: ફાસ્ટ ફોરવર્ડ ફ્યુચરની દિશામાં

ભવિષ્યની કલ્પના હંમેશા રંગીન જ હોય એવું કોણે કહ્યું! કલ્પના કરો કે ન્યુક્લીઅર વોર થયું નથી છતાં, પૃથ્વી પરનાં બધા જ મનુષ્ય પૃથ્વી પરથી અચાનક અદ્રશ્ય થઈ જાય છે. સેકન્ડના ક્ષણાર્ધમાં પૃથ્વી પર એકપણ મનુષ્ય બચ્યો નથી. આવા સમયે પૃથ્વી પર શું થઈ શકે? ટાઈમ લાઈન ધ્વારા હમેશાં ભુતકાળથી વર્તમાન તરફ અવાય છે. અહીં વર્તમાનથી ભવિષ્ય તરફ જતી ટાઈમ લાઈન પર નજર નાંખીએ... યાદ રહે હવે પૃથ્વી પર એકપણ માનવી બચ્યો નથી.
એક સેકન્ડથી ૧૦ દિવસ
માનવ કંટ્રોલ વિહીન વાહનો નિયંત્રણ ગુમાવી અથડાઈ પડશે. રસ્તાઓ સ્થીર થઈ જશે. એરપ્લેન ફેલ થઈ જશે. ચાલુ ઉભેલી કાર ધુમાડા કાઢતી રહેશે. જ્યાંથી ફ્યુઅલ છે ત્યાં સુધી કાર ચાલુ રહેશે. કોમ્પ્યુટર અને સેટેલાઈટ કાર્યરત રહેશે.
૫૫ મિનીટ બાદ
પવનચક્કી દ્વારા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત કામ કરતાં બંધ થઈ જશે. પાવર સ્ટેશનનાં કોમ્પ્યુટર સીસ્ટમમાં ખરાબી સમજીને સીસ્ટમ શટડાઉન થઈ જશે. માત્ર ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ અને હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટ માત્ર ચાલુ રહેશે. છ કલાકની અંદર અંદર પૃથ્વી પરની તમામ કૃત્રિમ રોશની બુઝાઈ જશે.
૧-૨ દિવસ બાદ
લંડનનાં બિગબેન ટાવરના છેલ્લા ટકોરા સંભળાશે. પ્રાણી સંગ્રહાલય જ્યાં ઈલેક્ટ્રીક ફેન્સીંગ પાછળ રહેલ જાનવરો હવે ભાગવાની કોશિશ કરશે. ન્યુયોર્ક લંડન જેવી સબવે સીસ્ટમમાં પાણીના પંપ બંધ થઈ જતાં સીસ્ટમ પાણીથી ભરાઈ જશે. પાલતુ પ્રાણીઓ ખોરાકની શોધમાં રસ્તા પર આવી જશે. ગાય ભેંસોને પુરતો ખોરાક ન મળતાં ખોરાક માટે ટળવળશે.
સાત દિવસ બાદ
ન્યુક્લીઅર રિએક્ટરને ઠંડુ રાખવા પાણી ધકેલતાં ઈમરજન્સી ડિઝલ પંપ બળતણના અભાવે બંધ પડશે. ફુકુશીમા જેવા વિસ્ફોટ પાવર પ્લાન્ટમાં થતાં જોવા મળશે. વાતાવરણમાં રેડિયેશન ફેલાશે.
ત્રણ મહિના બાદ
હવામાં રહેલુ રેડિયેશન અદ્રશ્ય થઈ ગયું હશે. હવાની ગુણવત્તા અને દ્રશ્ય ક્ષમતામાં વધારો થયો હશે. બચેલાં પાલતુ પ્રાણીઓ સુપર માર્કેટ અને ગ્રોસરી સ્ટોરમાં રહેલાં ઉંદરનો શિકાર કરી અસ્તીત્વ ટકાવવા પ્રયત્નશીલ રહેશે.
એક વર્ષ બાદ
વરસાદમાં પૃથ્વી સ્વચ્છ બની ગઈ હશે. નવી વનસ્પતિ અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ દુર કરશે. ઠેર ઠેર ઘાસ અને લીલોતરી ઉગેલી દેખાશે.
૩ થી ૧૫ વર્ષ બાદ
સમારકામ વિના રોડ પર વારંવાર બરફ જામવાથી તેમાં તિરાડો પડી ગઈ હશે. ઘરનાં બગીચામાં નવાં વૃક્ષો ઉગી ચુક્યા હશે. મકાનો અને બાંધકામ પરના રક્ષાત્મક કવચ, રંગ વગેરે દુર થઈ પૃથ્વી ખંડેર બની ગઈ હશે. ધાતુ ખવાઈ ગઈ હશે.
૩૦ વર્ષ બાદ
સૌર પવનોથી ક્ષતીગ્રસ્ત થયેલાં કૃત્રિમ ઉપગ્રહ ખરતાં તારાઓ માફક પૃથ્વી પર એકપછી એક તુટી પડશે. મકાનોના રૃફ ટોપ અને છાપરાં તુટી ગયા હશે. બહુમાળી બિલ્ડીંગોમાં સમડી, કાગડા, ગરૃડ જેવાં માળા બાંધતા હશે. શહેરોમાં હવે મોટાં જંગલી પ્રાણીઓ પણ ફરતા જોવા મળશે.
૩૦૦ વર્ષ બાદ
જંગલો દસ હજાર વર્ષ પહેલાંની સ્થિતિમાં આવી ગયા હશે. સમુદ્રમાં રહેલું જીવજગત વિકાસ પામી વિસ્તરી ગયું હશે. વિશ્વનાં મોટાં મોટાં બંધ હવે તુટી ગયા હોવાથી નદીઓ બેફામ વહેતી હશે.
૫૦૦ વર્ષ બાદ:
એફીલ ટાવર, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવાં માનવસર્જીત બાંધકામ તુટીને ભૂમી ભેગા થઈ ગયા હશે. પૃથ્વી બાંધકામ વિનાની ખડકાળ બની ગઈ હશે. વનસ્પતિ જગત તેની ચરમસીમા પર પહોંચ્યું હશે.
૨૫ હજાર વર્ષ બાદ:
વિશ્વનાં મોટાં શહેરો ઉપર ધુળ જામી ગઈ હશે. ફરી એકવાર આઈસએજ 'શીતયુગ'ની શરૃઆત થઈ ગઈ હશે. મનુષ્ય સર્જીત પ્લાસ્ટીકનાં ટુકડા માત્ર મનુષ્યની પૃથ્વી પરની હાજરી બતાવતા બચ્યા હશે. પૃથ્વીની માટીમાં રહેલ સીસાનાં અવશેષો નષ્ટ થઈ ચુક્યા હશે.
એક લાખ વર્ષ બાદ:
કાર્બન ડાયોક્સાઈડનું વાતાવરણમાં પ્રમાણ મનુષ્યનાં અસ્તીત્વ પહેલાંનાં લેવલે પાછું આવી ચુક્યું હશે.
અઢી લાખ વર્ષ બાદ:
પૃથ્વી પરનાં પરમાણુ શસ્ત્રોનાં ધાતુનાં કવર તો ક્યારનાય ખવાઈને નષ્ટ થઈ ચૂક્યા હશે. હવે પ્લુટોનીયમ અને બીજા રેડીયો એક્ટીવ પદાર્થો પૃથ્વીનાં કુદરતી બેકગ્રાઉન્ડ રેડિયેશનમાં સમાઈ ગયા હશે.
૩ અબજ વર્ષ
પૃથ્વી પર કલ્પના પણ કરી ન હોય તેવાં સજીવોનો મેળાવડો પેદા થયો હશે. પૃથ્વી પર કોનું આધિપત્ય હશે તે કહેવું મુશ્કેલ હશે.

મનુષ્યનાં અસ્તિત્વ લોપની ઘટના સમયે ''ઝોમ્બી વૉર'' ફાટી નિકળે તો...?

પૃથ્વી પરથી મનુષ્યનું અસ્તિત્વ નાબુદ થઇ જાય ત્યારે, મનુષ્યની લાશોનું શું થાય ? કલ્પના કથા કે 'હોરર' ફિલ્મનાં કેરેકટર ''ઝોમ્બી'' ને અહીં પુનઃ જીવન આપી શકાય. મડદાને ફરી સજીવ કરીને પેદા કરેલ માનવી એટલે ''ઝોમ્બી''. અંગ્રેજીમાં પ્રથમવાર 'ઝોમ્બી' શબ્દ ૧૮૧૯માં દાખલ થયો હતો. જેને રોબર્ટ સાઉધી નામનાં બ્રાઝીલનાં કવિએ જન્મ આપ્યો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી શબ્દનાં મુળીયા આફ્રિકાનાં કોન્ગોના 'ઝામ્બી' અને 'ઝુમ્બી' હોવાનું જણાવે છે. ઘણી હોલીવુડ ફિલ્મમાં તમે 'ઝોમ્બી' જેવાં કેરેકટર કે સ્ટોરી જોઇ હશે. જેમાં ડોન ઓફ ડેડ, ધ નાઇટ ઓફ લીવીંગ ડેડ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પણ ગળામાંથી વિચિત્ર અવાજ કાઢે છે. એકબીજાને ખેંચીને ચીરવાનો પ્રયત્ન કરે છે. અને મનુષ્યનું મગજ શોધીને ખાવાનો પ્રયત્ન કરે છે. તેઓ આવું શા માટે કરે છે ?
વૈજ્ઞાનિકો 'ઝોમ્બી' અવસ્થાને ''કોન્સીયસ ડેફીસીટ હાઇપોએકટીવીટી ડિસઓર્ડર CDHD) નામનો માનસિક રોગ જવાબદાર ગણે છે. જેના કારણે તેઓ પોતાની ક્રિયા, પ્રક્રિયાઓ ઉપર નિયંત્રણ ગુમાવી દે છે. આવા ઝોમ્બી  એટેકથી બચવા શું કરવું જોઇએ.
હુમલો કરવો નહીં
ઝોમ્બીને દર્દ કે વેદનાનો અહેસાસ થતો નથી એટલે તેનાં પર હુમલો કર્યા વગર ભાગી છૂટવું વધારે હિતાવહ સાબિત થાય.
શાંત રહેવું
CDHD વાળા મનુષ્યની યાદદાસ્ત ઓછી હોય છે. તેઓ એક ચીજ પર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. જો આવા સમયે તમે સંતાઇને શાંત રહો તો તેમનું ધ્યાન ચુકવી શકાય છે.
તેમનું ધ્યાન બીજે દોરવું
ઝોમ્બી પોતાનું ધ્યાન એવી જ ચીજ પર લાંબુ ટકાવી શકતા નથી. આ વાતને ધ્યાનમાં લઇ તેનું ધ્યાન અન્ય ચીજ પર દોરવું જોઇએ. જેમકે ફટાકડા ફોડવા વગેરે.
વાર્તાલાપ ન કરવો
CDHD નાં રોગીનો ભાષા પ્રત્યેનો અભિગમ શૂન્ય જેવો હોય છે. તેઓ આપણો વાર્તાલાપ કે બચાવ સમજી શકતા નથી. તેમનાં માટે 'ફાઇટ' અને 'ગુસ્સો' મુખ્ય બાબત છે. તેથી વાર્તાલાપ કરવાનો  નિષ્ફળ પ્રયત્ન કરવો નહીં.
ઝોમ્બીની મિમીક્રી કરો
ઝોમ્બી એકબીજાને ચહેરાથી ઓળખતા નથી. તેઓ તેમની હલનચલન પ્રક્રિયા અને અવાજથી એકબીજાને ઓળખે છે. એટલે ઝોમ્બી હોવાની એક્ટીંગ કે મીમીક્રી કરી તમે બચી શકો છો. CDHD શબ્દને ટીમોથી વર્સ્ટીનેબ અને બ્રેડ વોયટેકે પ્રથમવાર વાપર્યો હતો.

Powered by Blogger.

મારાં અન્ય બ્લોગ્સ